વાતો કદી કરશે નહીં

આગ દિલમાં લાગશે તો એકદમ ઠરશે નહીં
રોજ બળતી આગની જ્વાળા કદી શમશે નહીં.
કરકસર ના હોય, જે માંગે એ દિલથી દે ભલા
પ્રેમ છે, એ આપવાથી કોઈ દિ’ ઘટશે નહીં.
સાવ અણઘડ હોય છે શરૂઆત જેના પ્રેમની
એ જ માણસ અંતની વાતો કદી કરશે નહીં.
સાંજ પડતાં રોજ ખુશબૂ સમ શું ફેલાતું હશે ?
એ પવનની જાત જેવી છે નજર ચડશે નહીં.
ભાવ સાથે જ્યાં ભરોસો હોય તો એ પ્રેમ છે
એ ‘મહોતરમા’ વિના બીજે કશે મળશે નહીં.
– નરેશ ડોડિયા